કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા ભારે વરસાદ ના કારણે અને કાદવમાં ફસાયેલા 17 શ્રદ્ધાળુઓને આડેસર પોલીસની ત્વરિત મદદ
માનવતાનું ઉત્તમ ઉદાહરણ: પીઆઈ જે.બી. આચાર્યની ટીમે 17 લોકોનો જીવ જોખમમાંથી બચાવ્યો
વછરાજ ધામ નજીક વાવાઝોડા વચ્ચે આડેસર પોલીસનું રેસ્ક્યુ, 17 શ્રદ્ધાળુઓને બચાવ્યા
રાપર, કચ્છ: કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા પવિત્ર વછરાજ ધામ ખાતે દર્શનાર્થે ગયેલા 17 શ્રદ્ધાળુઓ અચાનક આવેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે પવન, વરસાદ અને કાદવના કારણે તેમનું ટ્રેક્ટર રસ્તામાં ફસાઈ જતાં તેઓ બહાર નીકળી શકતા નહોતા. ઘટનાની જાણ થતાં જ પૂર્વ કચ્છ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા તથા આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી હતી.
ભારે વરસાદ, અંધકાર અને કાદવ જેવી જોખમી પરિસ્થિતિ વચ્ચે આડેસર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ જવાનોએ સતત જહેમત ઉઠાવી ટ્રેક્ટરમાં ફસાયેલા તમામ 17 શ્રદ્ધાળુઓને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન પોલીસે માત્ર પોતાની ફરજ જ નહીં, પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. મુશ્કેલીમાં મુકાયેલા શ્રદ્ધાળુઓને જરૂરી સહાય અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ આડેસર પોલીસ તથા પીઆઈ જે.બી. આચાર્યની ટીમની કામગીરીને બિરદાવી હતી. પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે 17 લોકોનો જીવ જોખમમાંથી બચી ગયો હતો. રિપોર્ટર: ઠાકર અનિલ રાપર બ્યુરો ચીફ જનતા દસ્તક ન્યૂઝ

Post a Comment